આત્મકથન /સંસ્મરણો : My Blog in Gujarati

Welcome! Gujarati mitro! This is my Blog in Gujarati. Let us help the Gujarati language to earn a distinct position on the NET.

Wednesday, June 14, 2006

પ્રણામ શિક્ષકોને!

.

ઘણી વાર કેટલાક ઉત્સુક માતા-પિતા મને પ્રશ્ન કરે છે:
બાળકનો માનસિક-બૌદ્ધિક વિકાસ કઈ ઉંમરે મહત્તમ થવા લાગે છે?
કઈ ઉંમરે સંવેદનાઓ વિશેષ વિકસવા લાગે છે?

જવાબ સરળ છે: પ્રથમ વર્ષથી જ.

બાળકની, તેની કોઈ ઉંમરની, સ્થિતિની ઉપેક્ષા ન કરવી.

તેના વ્યક્તિત્વની- વર્તન કે વાતની- કદી અવગણના ન કરવી. બાળકની માનસિક- બૌદ્ધિક શક્તિ, સંવેદનશક્તિ શિશુકાળથી જ ખીલવા લાગે છે; તે શક્તિઓ સતત વિકસ્યા કરે છે.

તેનાં પોષક પરિબળો છે માતા-પિતા, કુટુંબ, શાળા, સહવાસ, સમાજનું સમગ્ર વાતાવરણ.

મને યાદ છે મારા ત્રીજા-ચોથા ધોરણનો અભ્યાસકાળ.
આઠેક વર્ષની કુમળી ઉંમર. જીવનને એક દિશા મળી ગઈ!

ત્રીજામાં વર્ગશિક્ષિકા હતાં પુષ્પાબહેન કવિ.
ગુજરાતી ભાષાનાં મહાન રસકવિ ન્હાનાલાલ દલપતરામ કવિના પુત્રવધુ.

પુષ્પાબહેન માયાળુ શિક્ષિકા. મધુર વ્યક્તિત્વ અને તેવી જ મીઠી વાણી. સ્મિતભર્યો લજ્જાયુક્ત ચહેરો. પ્રેમથી ભણાવે!

ચોથા ધોરણમાં દયાશંકર દાદાજી. નિરાળો પહેરવેશ. એશ રંગનો લાંબો ડગલો, ધોતિયું અને માથે કાળી ટોપી. ચહેરા પર છ દાયકાની સાક્ષી પૂરતી રેખાઓ. કડપ ભારે, અશિસ્ત ન સાંખે, પરંતુ અમારા પર પ્રેમ પણ વરસાવી દે!

બંને શિક્ષકોએ અમને અભ્યાસમાં રસ લેતા કર્યા.

ગણિત અને ગુજરાતી અમારા લોહીમાં ઉતારી દીધાં. ગુજરાતનો ગૌરવવંતો ઈતિહાસ અમારી આંખોમાં મૂકી દીધો. વલભીપુરની જાહોજલાલી, રાજકુંવરીની કાંસકીની વાર્તા, જયશિખરીની મર્દાનગી ..... આજે ય જયશિખરીનું મસ્તક વિનાનું ધડ જાણે લડતું દેખાય છે! અણહિલપુર અને વનરાજ, ચાંપો અને ચાંપાનેર, પાટણ અને સિદ્ધરાજ ... ગરવી ગુજરાતની વાતો તે શિક્ષકોએ અમારા હૃદય સોંસરવી ઉતારી દીધી!

દયાશંકર દાદાજીએ અમને ઈસપ, પંચતંત્ર તથા અરેબિયન નાઈટ્સથી પરિચિત કરાવ્યાં. દાદાજી વાર્તા-કથનમાં નિપૂણ. શબ્દ-ચિત્રોમાં તેમની તોલે કોઈ ન આવે! શબ્દપ્રયોગ જ નહીં, અવાજ અને ચહેરાના હાવભાવમાં એટલાં તો વેરીએશન્સ લાવે કે સ્તબ્ધ થઈને સાંભળ્યા જ કરીએ! ફરી ફરીને સાંભળીએ.

પંચતંત્રનાં પ્રાણીઓ પાસે અમે જંગલમાં પહોંચી જતાં; અલ્લાદ્દીનના મહાકાય જિનને આંખો ફાડી જોઈ રહેતાં (અને વિચારતાં: કાશ! એક જિન અમારું હોમ-વર્ક કરી આપતો હોય!) . અલીબાબામાં તો ખૂબ મઝા આવે; અમારે જ ગુફા ખોલવાની: “ખૂલ જા સીમ સીમ!” અને અમે અલીબાબાની ગુફામાં સોનામહોરોના ચળકાટમાં ખોવાઈ જતાં(કાશ! એક સોનામહોરથી એક સુંદર મઝાની સ્લેટ અને બે માટીની, ઈંટ પર ઘસી ઘસી અણીદાર થયેલી પેન ખરીદી શકાય! પણ રહેવા દો, પેનને અણીદાર કરવાનું કામ પેલા જીનને જ સોંપીશું. અત્યારે તો વાર્તા સાંભળી લઈએ!) આટલું વિચારીએ ત્યાં સુધીમાં તો દાદાજી ગુફાની બહાર ચાલીસ ચોર લઈ આવ્યા હોય!!

આવા શિક્ષકો હોય ત્યાં વિદ્યાર્થી શા માટે ન ભણે?

અને યાદ રહે: આમાંના કોઈ શિક્ષક પીટીસી કે બી.એડ ન હતાં!!!

અભ્યાસમાં રુચિ તો વધી જ; સાથે અમારી અભિવ્યક્તિ ખીલી ઊઠી. શબ્દો સાથે દોસ્તી બંધાઈ. અમારો સાહિત્યપ્રેમ પાંગરવા લાગ્યો.

પ્રણામ એ શિક્ષકોને!


.

0 Comments:

Post a Comment

<< Home